અંબાલાલ પટેલની આગાહી, મઘા નક્ષત્ર શરૂ, આ તારીખ દરમિયાન રાજ્યમા વરસશે મઘા નક્ષત્રનો ધોધમાર વરસાદ
નક્ષત્ર શાસ્ત્ર મુજબ નવા નક્ષત્રની શરૂઆત થઈ છે. આશ્લેલા નક્ષત્ર પૂરું થયા બાદ આજથી મઘા નક્ષત્ર શરૂ થયું છે. મઘા નક્ષત્ર દરમિયાન થતો વરસાદ કૃષિ પાક માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ વર્ષે રાજ્યમાં જોવા મળેલી વરસાદની અછત વચ્ચે હવે મઘા નક્ષત્ર દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા છે.
આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે “જો વરસે મઘા તો થાય ધાનના ઢગા” એટલે જો મઘા નક્ષત્ર દરમિયાન વરસાદ થાય તો કૃષિ પાકને ખૂબ ફાયદો થાય છે. મઘા નક્ષત્ર દરમિયાન થતા વરસાદથી કૃષિ પાકની કહું વૃદ્ધિ થાય છે. મઘા નક્ષત્રને ખૂબ મહત્વનુ નક્ષત્ર માનવામાં આવે છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે, મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાક માટે ખૂબ ક ફાયદાકારક માનવામાં આવે છે. આ પહેલાના આશ્લેલા નક્ષત્રનું પાણી કૃષિ પાક માટે ઝેરી મનાય છે પરંતુ મઘા નક્ષત્રના પાણીને ગંગા જળની માફક શુદ્ધ માનવામા આવે છે.
એવું કહેવામાં આવે છે કે જો મઘા નક્ષત્રના પાણીને કોઈ વાસણમાં ભરીને રાખવામાં આવે તો તેમા પોરા કે કીટકો પડતા નથી. 29 ઓગસ્ટ સુધી મઘા નક્ષત્ર લાગુ રહેશે. મઘા નક્ષત્ર દરમિયાન ખૂબ જ સારો વરસાદ થવાનુ અનુમાન છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં એક હળવા દબાણની સિસ્ટમ બનવા જો રહી છે. આ હળવા દબાણની સિસ્ટમના કારણે આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ મજબૂત બનશે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. જેથી આવનારા ત્રીજા રાઉન્ડના વરસાદમાં રાજ્યમાં વરસાદની અછત દૂર થાય તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખૂબ ઓછો વરસાદ થયો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 40 ટકા કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. આ વર્ષે જોવા મળેલી વરસાદની ખેંચના કારણે કૃષિ પાકના ઉત્પાદનમાં પણ અસર જોવા મળી શકે છે. દરમિયાન મઘા નક્ષત્ર દરમિયાન આગામી 18 થી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.