ગુડબાય મોનસૂન, ગુજરાતમાં આ તારીખથી વિદાય લઇ રહ્યું છે ચોમાસુ, હવામાન વિભાગે જાહેર કરી તારીખ
ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસુ પૂર્ણ થવાની સ્થિતિ તરફ સંકેત આપ્યા છે. 6 ઑકોટોબરથી ગુજરાતભરમાં ચોમાસું વિદાય લેશે, જેના કારણે આગામી 5 દિવસ નહીવત વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે, રાજ્યમાંથી હવે ચોમાસું વિદાઈ લેશે. હવે રાજ્યમાં ચોમાસું પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી પાંચ દિવસમાં સામાન્યથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગનું માનીએ તો નવરાત્રિમાં વરસાદનો ખતરો નથી. બીજી બાજુ ગુજરાતમાં વરસાદની ઘટ પૂર્ણ થઈ ગઈ છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે રાજ્યમાં 2% વધુ વરસાદ નોંધાયો છે.
ગુલાબ વાવાઝોડું ઓડિશાના દરિયાકાંઠે અથડાયા બાદ અરબી સમુદ્રમાં શાહીન વાવાઝોડાના રૂપમાં ફેરવાયું હતું. પરંતુ શાહીન વાવાઝોડું ગુજરાતના કાંઠેથી 400 કિ.મી. દૂર હોવાનું હવામાન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે. પરંતુ તેમ છતાં આગામી દિવસોમાં વરસાદ સાવ બંધ થઈ જશે તેવું નથી. રાજ્યમાં છૂટોછવાયા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાની સીઝન પૂર્ણ થવાના આરે હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. એટલે કે, રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કારણ કે, ઘણા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકશાન થયું છે એટલે કે હવે ખેડૂતોને વરસાદથી રાહત રહેશે .
ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મન મૂકીને વરસતાં 31.04 ઈંચ સાથે મોસમનો સરેરાશ 94% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતા વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. જો કે સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી.પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સિઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.